46 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ખજાનો, બીજો દરવાજો ખુલતા SP થયા બેભાન,

By: nationgujarat
15 Jul, 2024

આખરે 46 વર્ષ પછી ઓડિશાના પુરીમાં સ્થિતિ 12મી સદીમાં બનેલા જગન્નાથ મંદિરનો ખજાનો ખુલ્યો છે અને રત્ન ભંડારની સંપત્તિની ગણતરી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે બપોરે એક શુભ મુહૂર્તમાં આ રત્ન ભંડારનો દરવાજો 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન સરકારી પ્રતિનિધિઓ સહિત 11 લોકો હાજર હતા. તિજોરી ખોલતા પહેલા પુરી પ્રશાસને 6 ખાસ મોટા બોક્સ મગાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા તહેનાત કરવામાં આવી હતી.

સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો

જગન્નાથ મંદિરના રત્ન ભંડારના દરવાજા છેલ્લે 1978માં ખોલવામાં આવ્યા હતા. ઓડિશા સરકાર કહે છે કે ઓડિટમાં કિંમતી પથ્થરોથી જડેલા 149.6 કિલોથી વધુ સોનાના આભૂષણો, 258.3 કિલો ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીનું કહેવું છે કે તેઓએ રવિવારે SOP મુજબ તમામ કામ કર્યું હતું. રત્ન ભંડારની બહારનો રુમ ખોલવામાં આવ્યો અને ત્યાં રાખેલા તમામ દાગીના અને કિંમતી સામાનને મંદિરની અંદરના અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યો. આ પછી સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે.

રત્ન ભંડારનો દરવાજો ખુલતા જ SP બેભાન થયા

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સુપરિન્ટેન્ડેન્ટ ડીબી ગડનાયકે જણાવ્યું હતું કે સમારકામ માટે રત્ના ભંડારનો સર્વે કરવામાં આવશે. બીજી તરફ રત્ન ભંડારનો બીજો દરવાજો ખૂલતા જ એસપી પિનાક મિશ્રા બેભાન થઈ ગયા હતા. જોકે તેનું કારણ જાણી શકાયું નથી. બાદમાં મંદિર પરિસરમાં જ તેની સારવાર કરવામાં આવી હતી.

તાળા તોડીને બોક્સ બહાર કાઢવામાં આવ્યા

જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીનું કહેવું છે કે ત્યાર બાદ ટીમે અંદરના ચેમ્બરના ત્રણ તાળા તોડી નાખ્યા કારણ કે આ તાળાઓને આપવામાં આવેલી ચાવીઓ કામ કરી રહી ન હતી, ત્યારબાદ તાળા તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમયની કમીને કારણે ટીમના સભ્યોએ અંદરના રૂમમાં રાખેલ લાકડાની પેટી ખોલી ન હતી. અહીં રાખવામાં આવેલા આભૂષણો અને રત્નોને કોઈ બીજા દિવસે મંદિર પરિસરની અંદરના અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. મંદિર પ્રશાસન સોમવારથી બહુદા યાત્રા અને અન્ય ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત થવાનું છે.

રત્ન ભંડારના ઓરડામાં શું હતુ ?

રાજ્ય દ્વારા રચવામાં આવેલી ઓડિટ સુપરવાઇઝરી કમિટીના વડા જસ્ટિસ (નિવૃત્ત) વિશ્વનાથ રથ કહે છે કે ટીમે અંદરના રૂમમાં લાકડાના 5 બોક્સ, 4 લાકડાના છાજલીઓ અને સ્ટીલનું કબાટ જોયું છે. આ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ પણ હોઈ શકે છે કારણ કે તેમને હજુ પણ છાજલીઓની અંદર શું રાખવામાં આવ્યું છે તે તપાસવું પડશે. રત્ન ભંડારમાં બે વિભાગો છે, પ્રથમ બાહ્ય ખંડ અને બીજો આંતરિક ખંડ છે. બહારની ચેમ્બર વિવિધ ધાર્મિક વિધિઓ માટે સમયાંતરે ખોલવામાં આવી છે, જ્યારે આંતરિક ચેમ્બર છેલ્લે 1978 માં ખોલવામાં આવી હતી.

સાપ રત્ન ભંડારમાં રત્નોનું રક્ષણ કરે છે!

રત્ન ભંડારનો દરવાજો ખોલતા પહેલા જ સુરક્ષા માટે સાપ પકડનારાઓને પણ બોલાવવામાં આવ્યા હતા, કારણ કે અંદરના રત્ન ભંડારમાંથી વારંવાર સાપોના ફુફકારવાના અવાજો આવતા હતા. એવું પણ માનવામાં આવે છે કે સાપનું ટોળુ આ ઓરડામાં રાખવામાં આવેલા રત્નોનું રક્ષણ કરે છે. રત્ન ભંડાર ખોલવાનો હેતુ ત્યાં હાજર કિંમતી ચીજવસ્તુઓની ડિજિટલ યાદી બનાવવાનો છે, જેમાં તેમના વજન અને બાંધકામ જેવી વિગતો હશે, જ્યારે એન્જિનિયરો સમારકામ માટે રત્ન ભંડારનું સર્વેક્ષણ કરશે. શ્રી જગન્નાથ મહાપ્રભુ ઓડિશામાં સૌથી વધુ પૂજાતા દેવ છે. પ્રસાદ અહીં મોટા પાયે આવે છે. લોકસભા ચૂંટણી વખતે પણ આ રત્ન ભંડાર ઓડિશામાં એક મોટો રાજકીય મુદ્દો હતો


Related Posts

Load more